Rajkot News: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) સાથે વિવાદનો જાણે ગાઢ સંબંધ બંધાઈ ગયો લાગે છે. કોઈને કોઈને કારણસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં રહે જ છે. નવા વિવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનના વિભાગીય વડા (એચઓડી) અને પ્રોફેસર ડો. કમલ મહેતા સામે પ્રમોશન મેળવવા ઘણી જ ગંભીર કહી શકાય તેવી શૈક્ષણિક ગેરરીતિ આચરી હોવાનો પર્દાફાશ થતાં ચકચાર મળી ગઈ છે.
એક પ્રોફેસર અને તેમા પણ વિભાગીય વડાની ગેરરીતિની બહાર આવેલી વિગતોએ શૈક્ષણિક જગતમાં ચકચાર મચાવી દીધી છે. આ વિગતો માહિતી અધિકાર (RTI)ના પગલે પ્રકાશમાં આવી હતી. આ વિવાદિત કિસ્સામાં જોઈએ તો એક સંશોધન પત્ર છે. તેમણે પ્રમોશન માટે જે આગવી ઢબે કૌભાંડ કર્યુ હતુ તે પણ આગવું અને અનોખું હતું. જો માહિતી અધિકારનો કાયદો ન હોત તો કોઈને આખા પ્રકરણની પણ ખબર પડી ન હોત.
તેમના આ કૌભાંડમાં જોઈએ તો 2015ના પેપરમાં તેમણે NEP 2020નો ઉલ્લેખ કર્યો છે, હવે જે સમયે નીતિ અસ્તિત્વમાં જ ન હતી તે નીતિ ક્યાંથી આ પેપરમાં આવી ગઈ. આના પરથી તે સ્પષ્ટ થઈ ગયું હતું કે આ પેપર 2020 પછી જ છપાયુ હતુ અને તેને બેક ડેટેડ બતાવાયું હતું. યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના સભ્ય અને ઇસી મેમ્બર ડો. નિદત બારોટે આ અંગે માહિતી અધિકાર હેઠળ અરજી કરીને માહિતી મેળવી હતી. તેમણે આ માહિતીના આધારે કુલસચિવને લેખિત ફરિયાદ કરી છે.તેમણે કુલપતિને કરેલી ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ખોટા દસ્તાવેજોના આધારે શૈક્ષણિક પ્રમોશન મેળવવું મોટો ગુનો છે. ગેરરીતિના આધારે પ્રમોશન અને ઊંચા પગાર મેળવવામાં આવ્યા હોય તો તે સરકારી હોદ્દાનો દૂરુપયોગ છે. શિક્ષણ વિભાગ આ મામલે તલસ્પર્શી તપાસ કરી કડક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે. આ વિવાદ વધી પડતા રાજ્ય સરકારે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આ મામલે ખુલાસો મંગાવ્યો છે.